1 અને છ દહાડા પછી ઇસુ પીતરને તથા યાકુબને તથા તેના ભાઇ યોહાનને સાથે લઈને તેમને એક ઉંચા પહાડ પર એકાંત લઇ જાય છે.

2 અને તેઓની આગળ તેઓનું રૂપાંતર થયું, એટલે તેનું મ્હો સૂરજના જવું તેજસ્વી થયું, ને તેનાં લૂગડાં અજવાળાના જેવા ઉજળાં થયાં.

3 ત્યારે, જુઓ, મુસા તથા એલીયાહ તેની જોડે વાત કરતાં તેઓને દેખાયા.

4 અને પીતરે ઉત્તર આપીને ઇસુને કહ્યું કે, પ્રભુ, આપણે અહીં રહેવું સારૂં છે, જો તારી મરજી હોય તો હું અહીં ત્રણ માંડવા બનાવું; એક તારે કાજે, ને એક મુસાને કાજે,ને એક એલીયાહને કાજે.

5 તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળીએ તેઓ પર છાયા કીધી; ને જુઓ, વાદળીમાંથી એવી વાણી થઇ કે, એ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.

6 અને શિષ્યોએ તે સાંભળીને ઉંધા પડ્યા, ને બહુજ બીધા.

7 ત્યારે ઇસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું કે, ઉઠો, ને બીહો મા.

8 અને તેઓએ પોતાની નજર ઉંચી કરી તો એકલા ઇસુ વિના તેઓએ કોઈને દીઠો નહિ.

9 અને તેઓ પહાડ પરથી ઉતરતા હતા, ત્યારે ઇસુએ તેઓને એવી આજ્ઞા કીધી કે, માણસનો દીકરો મુએલામાંથી પાછો ઉઠે ત્યાં સુધી આ જે તમે દીઠું તે કોઈને ના કહેતા.

10 ત્યારે તેના શિષ્યોએ તેને પુછતાં કહ્યું કે, શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલીયાહે પહેલાં આવવું જોઈએ;

11 અને ઇસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, એલીયાહ આઅવે છે ખરો, ને સઘળું યથાસ્થિત કરશે;

12 પણ હું તમને કહું છું કે, એલીયાહ આવી ચુક્યો છે; ને તેઓએ તેને ન ઓળખ્યો, પણ જે કંઈ તેઓએ ચાહ્યું તે તેને કીધું; તેમજ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહેશે.

13 ત્યારે શિષ્યો સમજ્યા ક યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેણે તેઓને કહ્યું.

14 અને જયારે તેઓ લોકની ભીડ પાસે આવ્યા, ત્યારે એક માણસ તેની પાસે આવીને તેની આગળ ઘૂંટણ ટેકીને કહ્યું કે,

15 ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કર, કેમકે તેણે ફેફરાનું દરદ છે, ને તે ઘણી પીડા પામે છે; કેમકે તે ઘણી વાર અગ્નિમાં, ને ઘણી વાર પાણીમાં પડે છે.

16 અને તેને હું તારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી ન શક્યા.

17 ત્યારે ઇસુએ ઉત્તર દેતાં કહ્યું કે, ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારે સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે લાવો.

18 પછી ઇસુએ તે ભૂતને ધમકાવ્યું; ને તે તેનામાંથી નીકળ્યું; ને છોકરો તે ઘડીથી સાજો થયો.

19 ત્યારે શિષ્યોએ એકાંતમાં ઇસુ પાસે આવીને કહ્યું કે, અમે તેને કેમ કાઢી ન શક્યા?

20 ત્યારે તેણે તેઓને કહ્યું કે, તમારા અવિશ્વાસને લીધે; કેમકે હું તમને ખચિત કહું છું કે, તમને રાઇના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે; ને તમને કંઇ અશક્ય થશે નહિ.[[

21 પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી]].

22 અને તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઇસુએ તેઓને કહ્યું કે, માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;

23 ને તેઓ તેને મારી નાખશે, ને ત્રીજે દહાડ તે પાછો ઉઠશે. ત્યારે તેઓ બહુ દલગીર થયા.

24 અને તેઓ કાપરનાહુમમાં આવ્યા, ત્યારે કર લેનારાઓએ પીતરની પાસે આવીને કહ્યું કે, શું તમારો ઉપદેશક [મંદિરના] કારનું નાણું નથી આપતો?

25 તેણે કહ્યું કે, હા. અને ઘરમાં તે આવ્યો ત્યારે [તેના બોલવા] અગાઉ ઇસુએ કહ્યું કે, સીમોન, તને શું લાગે છે, પૃથ્વીના રાજા કોની પાસેથી દાણ અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?

26 અને પીતરે તેને કહ્યું કે, પારકાઓ પાસેથી; ત્યારે ઇસુએ તેને કહ્યું કે, ત્યારે દીકરાઓ તો છુટા છે.

27 તોપણ આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ માટે તું સમુદ્ર કિનારે જઈને ગલ નાખ; ને જે માછલી પહેલી આવે તેને પકડી લે, ને જયારે તેનું મ્હો ઉઘાડીશ ત્યારે તને નાણું મળશે, તે લઈને મારે ને તારે સારૂ તેઓને આપ.