1 અને યહોવાહનો કોપ ફરીથી ઇસ્રાએલ ઉપર સળગ્યો; ને તેણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉસ્કેરીને કહ્યું કે, જા, ઇસ્રાએલ તથા યહુદાહની ગણત્રી કર.
2 અને રાજાએ પોતાની સાથે યોઆબ સેનાપતિ હતો તેને કહ્યું કે, દાનથી તે બેરશેબા સુધી ઇસ્રાએલના સઘળાં કુળોમાં બધે ફરીને લોકોની ગણના કર, કે હું લોકોની કુળ સંખ્યા જાણું.
3 અને યોઆબે રાજાને કહ્યું કે, લોક ગમે તેટલા હોય, તો પણ તારા દેવ યહોવાહ તેઓને સોગણા વધારો, ને મારો મુરબ્બી રાજા પોતાની આંખે તે જુઓ; પણ મારો મુરબ્બી રાજા એ વાતમાં કેમ આનંદ મનાવે છે?
4 પણ રાજાનું વચન યોઆબની તથા સૈન્યની સરદારોની ઉપર પ્રબળ થયું. અને યોઆબ તથા સૈન્યના સરદારો ઇસ્રાએલના લોકોની ગણના કરવાને રાજાની હુજુરમાંથી ચાલ્યા ગયા.
5 અને તેઓએ યરદન ઉતરીને યાઝેર પાસે ગાદની ખીણની મધ્યે જે નગર છે, તેની જમણી ગમ અરોએરમાં છાવણી કરી.
6 પછી તેઓ ગિલઆદ તથા તાહતીમ-હોદશીના દેશમાં આવ્યા; પછી તેઓ દાન-યાઆનમાં આવ્યા, ને ચક્કર ખાઈને તેઓ સિદોનની ભણી ગયા;
7 ને સૂરના મજબૂત કિલ્લામાં, તથા હિવ્વીઓના તથા કનાનીઓના સઘળાં નગરોમાં આવ્યા, ને યહુદાહની દક્ષિણે બેરશેબામાં ગયા.
8 એમ આખા મુલકમાં ઠેકાણે ઠેકાણે ફરીને નવ માંસ ને વીસ દિવસે તેઓ યરૂશાલેમમાં પાછા આવ્યા.
9 અને યોઆબે રાજા આગળ લોકોની ગણત્રીની કુલ સંખ્યા રજુ કરી; અને ઇસ્રાએલમાં તરવાર તાણનાર શૂરવીર પુરુષો આઠ લાખ હતા; તથા યહુદાહમાં પાંચ લાખ પુરુષો તેવા હતા.
10 અને દાઉદે લોકોની ગણત્રી કીધા પછી તેના મને તેને માર્યો; ને દાઉદે યહોવાહને કહ્યું કે, મેં જે કર્યું છે તેમાં મોટું પાપ કીધું છે, પણ હવે, હે યહોવાહ, કૃપા કરી તારા સેવકની દુષ્ટતા દૂર કર, કેમકે મેં ઘણી મૂર્ખાઈ કીધી છે.
11 અને દાઉદ સવારે ઉઠ્યો, ત્યારે દાઉદના ભવિષ્યદર્શક ગાદ ભવિષ્યવાદીની પાસે યહોવાહનો શબ્દ એવો આવ્યો કે,
12 દાઉદ પાસે જઈને તેને કહે કે, યહોવાહ એમ કહે છે કે, હું તારી આગળ ત્રણ વાત મુકું છું, તેમાંથી એક તું પસંદ કર કે તે હું તને કરૂં.
13 માટે ગાદે દાઉદ પાસે આવીને તેને ખબર આપતાં કહ્યું કે, તારા દેશમાં સાત વર્ષ સુધી દુકાળ આવે, અથવા તો તારા શત્રુઓ તારી પૂઠે લાગે ને તું ત્રણ માસ સુધી તેઓની આગળ નાસે, અથવા તો તારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે વિચાર કર, ને જેણે મને મોકલ્યો છે તેને હું શો ઉત્તર આપું તેનો ખ્યાલ કર.
14 અને દાઉદે ગાદને કહ્યું કે, હું ઘણો મુશ્કેલમાં છું, આપણે યહોવાહના હાથમાંજ પડીએ; કેમકે તેની દયા ઘણી છે; ને મારે માણસના હાથમાં પડવું ન થાય.
15 માટે યહોવાહ ઇસ્રાએલમાં સવારથી તે ઠરાવેલા વખત સુધી મરકી મોકલી; ને દાનથી તે બેરશેબા સુધીમાં લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.
16 અને દૂતે યરૂશાલેમનો નાશ કરવાને પોતાનો હાથ તેની વિરુદ્ધ લંબાવ્યો, ત્યારે યહોવાહને એ અપાયને લીધે પશ્ચાતાપ થયો, ને જે દૂત લોકોનો નાશ કરતો હતો, તેને તેણે કહ્યું કે, હવે બસ છે; હવે તારો હાથ બંધ રાખ. અને યહોવાહનો દૂત આરાવ્નાહ યબૂસીની ખળી પાસે હતો.
17 અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઇને દાઉદે યહોવાહને કહ્યું કે, જો, મેં તો પાપ કીધું છે, તથા દુષ્ટતા કીધી છે; પણ આ ઘેટાંએ શું કીધું છે?કૃપા કરી તારો હાથ મારી વિરુદ્ધ તથા મારા બાપના ઘરની વિરુદ્ધ થાઓ.
18 અને તે દિવસે ગાદે દાઉદ પાસે આવીને કહ્યું કે, જઈને આરાવ્નાહ યબૂસીની ખળીમાં યહોવાહને સારૂ વેદી બાંધ.
19 અને ગાદના કહેવા પ્રમાણે, એટલે યહોવાહે આજ્ઞા કીધી હતી તે મુજબ, દાઉદ ગયો.
20 અને આરાવ્નાહે દૂર નજર કરી, એટલે રાજાને તથા તેના ચાકરોને પોતાની તરફ આવતો જોયો; ને આરાવ્નાહ સામો ગયો, ને રાજા આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કીધા.
21 અને આરાવ્નાહે કહ્યું કે, મારો મુરબ્બી રાજા પોતાના સેવકની પાસે કેમ આવ્યો છે? ને દાઉદે કહ્યું કે, લોકોમાંથી મરકી બંધ થાય, માટે યહોવાહને સારૂ વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખળી વેચાતી લેવાને હું આવ્યો છું.
22 અને આરાવ્નાહે દાઉદને કહ્યું કે, મારા મુરબ્બી રાજાને જે સારૂં લાગે તે લઈને અર્પણ કરે; જો, દહનીયાર્પણ સારૂ બળદો છે, ને લાકડાંને સારૂ ખળીના રાચ તથા બળદોનો સામાન છે.
23 એ સઘળું, હે રાજા, આરાવ્નાહ રાજાને આપે છે; ને આરાવ્નાહે રાજાને કહ્યું, તારો દેવ યહોવાહ તને માન્ય કરો
24 અને રાજાએ આરાવ્નાહને કહ્યું કે, એમ નહિ, પણ હું ખચિત મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઇશ; ને મારા દેવ યહોવાહની આગળ મફત મળેલાનું દહનીયાર્પણ હું નહિજ કરીશ. મારે દાઉદે ખળીને તથા બળદોને પચાસ શેકેલ રૂપાને માટે ખરીદ કીધાં.
25 અને દાઉદે ત્યાં યહોવાહને સારૂ વેદી બાંધી, ને દહનીયાર્પણો તથા શાંત્યર્પનો કીધાં; એમ યહોવાહ દેશ ઉપર પ્રસન્ન થયો, ને ઇસ્રાએલમાંથી મરકી બંધ થઇ.