1 અને ઇકોનીમાં એમ થયું કે તેઓ યહુદીઓના સભાસ્થાનમાં સાથે ગયા, ને એવી રીતે બોલ્યા કે ઘણાજ યહુદીઓએ તથા હેલેનીઓએ વિશ્વાસ કીધો.
2 પણ અવિશ્વાસી યહુદીઓએ વિદેશીઓને ઉશ્કેરીને તેઓનાં મનમાં ભાઈઓને સામે અંટસ ઉપજાવ્યો.
3 તે માટે તેઓ લાંબી મુદ્દત સુધી ત્યાં રહીને પ્રભુના આશરાથી હિમ્મત રાખીને બોલતા રહ્યા, ને પ્રભુએ તેઓની હસ્તક ચમત્કારો તથા આશ્ચર્ય કૃત્યો થવા દઈને પોતાની કૃપાની વાતના ટેકામાં સાક્ષી આપી.
4 પણ શહેરના લોકોમાં ફૂટ પડી, ને કેટલાકે યહુદીઓનો પક્ષ લીધો, ને કેટલાકે પ્રેરિતોનો પક્ષ લીધો.
5 અને તેઓનું અપમાન કરવા તથા તેઓને પત્થરે મારવા સારૂ જયારે વિદેશીઓએ તથા યહુદીઓએ પોતાના અધિકારીઓ સુદ્ધાં હલ્લો કીધો,
6 ત્યારે તેઓ તે જાણીને લુકનીનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં, તથા આસપાસના પ્રાંતોમાં નાસી ગયા;
7 ને ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કીધી.
8 અને લુસ્રામાં એક પાંગળો માણસ બેઠેલો હતો, ને પોતાની માના પેટથી લંગડો હતો, ને કદી ચાલ્યો ન હતો.
9 તેણે પાઉલને બોલતો સાંભળ્યો, અને [પાઉલે] તેની તરફ એકી નજરે જોઈ રહીને, તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,
10 એ જાણીને મોટે ઘાટે કહ્યું કે, તું પોતાને પગે સીધો ઉભો રહે. ત્યારે તે કુદીને ઉભો થયો, ને ચાલવા લાગ્યો.
11 અને પાઉલે જે કીધું હતું તે જોઇને લોકોએ લુકાનીની ભાષામાં મોટે ઘાટે કહ્યું કે, માણસોનું રૂપ ધરીને દેવો આપણી પાસે ઉતરી આવ્યા છે.
12 અને તેઓએ બર્નાબાસને ઝૂસ કહ્યો, ને પાઉલને હેર્મસ કહ્યા, કેમકે તે મુખ્ય બોલનાર હતો.
13 અને ઝૂસ [નું મંદિર] એ શહેરને મોખરે હતું તેનો યાજક ગોધાઓ તથા ફૂલના હાર ભાગળે લાવીને લોકો સુદ્ધાં બલિદાન ચઢાવવા ઈચ્છતો હતો.
14 પણ બર્નાબાસ તથા પાઉલ પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં લૂગડાં ફાડ્યાં, ને લોકોમાં દોડીને મોટે ઘાટે કહ્યું કે,
15 ગૃહસ્થો, તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા વિકારી માણસ છીએ, ને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, તથા પૃથ્વી, તથા સમુદ્ર, તથા તેઓમાંના સઘળાનો ઉત્પન્નકર્તા, કે જે જીવતો દેવ છે તેની ભણી તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.
16 તેણે તો આગલા જમાનાઓમાં સર્વ લોકોને પોતપોતાને માર્ગે ચાલવા દીધા;
17 તો પણ ભલું કરીને, અને આકાશથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપીને, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરીને તે પોતા વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.
18 અને તેઓએ એ વાતો કહીને લોકોને તેમની પ્રત્યે બલિદાન ચઢાવતાં મુશ્કેલીથી અટકાવ્યા.
19 પણ અંત્યોખ તથા ઇકોનીથી કેટલાક યહુદીઓ ત્યાં આવ્યા, ને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પત્થરે માર્યો, ને તે મરી ગયો છે એવું ધારીને તેને શહેર બહાર ઘસડી નાખ્યો.
20 પણ તેની આસપાસ શિષ્યો ઉભા હતા તેવામાં તે ઉઠીને શહેરમાં આવ્યો, ને બીજે દિવસે, બર્નાબાસ સાથે દર્બે ગયો.
21 અને તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, તથા ઘણા શિષ્યો મેળવ્યા પછી તેઓ લુસ્રા તથા ઇકોની તથા અંત્યોખમાં પાછા આવ્યા,
22 ને શિષ્યોના મન સ્થિર કરતાં તેઓએ તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કીધો, ને [કહું કે,] આપણને ઘણાં સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે.
23 અને તેઓએ હરેક મંડળીમાં તેઓને સારૂ વડીલો ઠરાવીને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને પ્રભુ, કે જેના પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેને સોંપ્યો.
24 પછી તેઓ પીસીદીઆમાં થઈને પામ્ફૂલ્યા આવ્યા.
25 અને પેર્ગામાં વાત કર્યા પછી તેઓ આતાલીએ આવ્યા.
26 પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂરું કરી આવ્યા તેને સારૂ દેવની કૃપાને સોંપાયા હતા.
27 અને તેઓએ ત્યાં આવીને મંડળીને એકઠી કરીને જે જે કામ દેવે તેઓની હસ્તક કર્યા હતા તે, ને શી રીતે તેણે વિદેશીઓને સારૂ વિશ્વાસનું બારણું ઉધાડ્યું હતું તે બધું કહી બતાવ્યું.
28 અને શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યા.