2 ને તેઓને કહ્યું, યહોવાહના સેવક મુસાએ જે આજ્ઞા તમને આપી હતી, તે સર્વ તમે પાળી છે; ને જે સર્વ આજ્ઞા મેં તમને આપી, તેમાં મારી વાણી તમે સાંભળી છે;
3 ઘણા દિવસથી આજ સુધી તમે પોતાના ભાઈઓને તજ્યા નથી, પણ પોતાના દેવ યહોવાહની આજ્ઞાથી સોંપાએલી ફરજ તમે સાચવી છે.
4 અને હવે તમારા દેવ યહોવાહ તમારા ભાઈઓને કહ્યું હતું તેમ, હમણાં તેણે તેઓને વિશ્રામ આપ્યો છે, એ માટે તમે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારા વતનની ભૂમિ, જે યહોવાહના સેવક મુસાએ તમને યરદનની પેલી ગમ આપી, તેમાં જાઓ.
5 ફક્ત જે આજ્ઞા તથા નિયમ યહોવાહના સેવક મુસાએ તમને ફરમાવ્યા, એટલે કે પોતાના દેવ યહોવાહ ઉપર પ્રીતિ કરવી, ને તેના સર્વ માર્ગોમાં ચાલવું, ને તેની આજ્ઞાઓ પાળવી, ને તેને વળગી રહેવું, ને પોતાના સંપૂર્ણ હૃદયથી, ને પોતાના સંપૂર્ણ જીવથી તેની સેવા કરવી, તે સર્વ તમે ઘણી સાવચેતીથી પાળજો.
6 અને યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કીધા; ને તેઓ પોતાના તંબુઓમાં ગયા.
7 હવે મનાશ્શેહના અર્ધ કુળને મુસાએ બાશાનમાં [વતન] આપ્યું હતું; પણ તેના બીજા અર્ધ ભાગને યહોશુઆએ તેઓના ભાઈઓ સાથે પશ્ચિમમાં યરદન પાર [વતન] આપ્યું; વળી જયારે યહોશુઆએ તેઓને તેઓના તંબુમાં મોકલી દીધા, ત્યારે તેણે તેઓને આશીર્વાદ દીધો.
8 અને તેણે તેઓને કહ્યું કે, ઘણા દ્રવ્ય, ને બહુઘણાં ઢોર, રૂપું, સોનું, ત્રાંબુ, ને લોઢું, ને અતિઘણાં વસ્ત્રો લઈને પોતપોતાના તંબુઓમાં પાછા જાઓ; પોતાના ભાઈઓ સાથે પોતાના શત્રુઓની લૂટ વહેંચી લો.
9 અને રેઉબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શેહનું અર્ધ કુળ કનાન દેશમાંના શીલોહમાંથી ઇસ્રાએલપુત્રો મધ્યેથી નીકળીને પોતાનના વતનનો ગિલઆદ પ્રાંત, જે મુસાની હસ્તક અપાએલી યહોવાહની આજ્ઞા પ્રમાણે તેઓને મળ્યો હતો, તેમાં જવાને પાછા ફર્યા.
10 અને યરદનની પાસેનો પ્રદેશ જે કનાન દેશમાં છે, ત્યાં રેઉબેનપુત્રો અને ગાદપુત્રો ને મનાશ્શેહનું અર્ધ કુળ આવ્યા, ત્યારે ત્યાં યરદન પાસે તેઓએ વેદી, એટલે [દૂરથી] દેખાય, એવી મોટી વેદી, બાંધી.
11 અને ઇસ્રાએલપુત્રોએ એવી વાર્તા સાંભળી કે, જુઓ, રેઉબેનપુત્રોએ ને ગાદપુત્રોએ ને મનાશ્શેહના અર્ધ કુળે કનાન દેશના મોખરામાં, યરદન પાસેના પ્રદેશમાં, તથા ઇસ્રાએલપુત્રોની [ભૂમિની] બાજુએ, એક વેદી બાંધી છે.
12 અને ઇસ્રાએલપુત્રોએ તે સાંભળ્યું, ત્યારે ઇસ્રાએલપુત્રોની આખી જમાત તેઓની સામે યુદ્ધ કરવા સારૂ શીલોહ મધ્યે એકત્ર થઇ.
13 અને ઇસ્રાએલપુત્રોએ ગિલઆદ દેશમાં રેઉબેનપુત્રો, ને ગાદપુત્રો, ને મનાશ્શેહનું અર્ધ કુળ, એઓની પાસે એલઆઝાર યાજકના પુત્ર ફીનહાસને મોકલ્યો;
14 ને તેની સાથે ઇસ્રાએલના સર્વ કુળોમાંથી પ્રત્યેક મુખ્ય ઘરનો એક એક આગેવાન, એવા દસ અધિપતિઓ મોકલ્યા; અને તેઓમાંના બધા ઇસ્રાએલના કુટુંબો મધ્યે પોતપોતાના પિતૃઓના ઘરોના મુખ્ય હતા.
15 અને તેઓએ ગિલઆદ પ્રાંતમાં રેઉબેનપુત્રોની ને ગાદપુત્રોની ને મનાશ્શેહના અર્ધ કુળની પાસે જઈને તેઓને કહ્યું,
16 યહોવાહની આખી જમાત એમ કહે છે કે, તમે ઇસ્રાએલના દેવની વિરુદ્ધ આ શો અપરાધ કીધો કે, આજ તમે યહોવાહના અનુસરણથી ફરી જઈને, પોતાને સારૂ વેદી બાંધીને આજ તમે યહોવાહની વિરુદ્ધ ફિતૂર કીધું છે.
17 પેઓરનો અન્યાય, કે જેણે લીધે યહોવાહની જમાત ઉપ મરકી આવી હતી તો પણ તેમાંથી આજ સુધી આપણે પોતાને શુદ્ધ કીધી નથી, તે આપણે સારૂ નાનો છે કે શું,
18 કે તમે યહોવાહના અનુસરણથી આજ ફરી ગયા છો? અને એમ થશે કે, તમે આજ યહોવાહના વિરુદ્ધ ફિતૂર કરો છો, માટે કાલે ઇસ્રાએલની આખી જમાત ઉપર તે કોપાયમાન થશે.
19 તથાપિ જો તમારા વતનની ભૂમિ અશુદ્ધ હોય, તો યહોવાહે વતનને સારૂ આપેલી ભૂમિ, જ્યાં યહોવાહનો મંડપ રહે છે, ત્યાં [નદી] ઉતરીને આવો, ને અમારા મધ્યે વતન લો; પણ આપણા દેવ યહોવાહની વેદી શિવાય બીજી વેદી બાંધીને યહોવાહ વિરુદ્ધ ફિતૂર કરશો મા, ને અમારી વિરુદ્ધ ફિતૂર કરશો મા.
20 ઝેરાહના દીકરા આખાને શ્રાપપાત્ર વસ્તુ વિષે ઉલ્લંઘન કીધું, ને તેથી ઇસ્રાએલની આખી જમાત પર કોપ આવ્યો કે નહિ?ને તે માણસ પોતાન અન્યાયમાં એકલોજ નાશ પામ્યો નહિ.
21 ત્યારે રેઉબેનપુત્રોએ, ને ગાદપુત્રોએ, ને મનાશ્શેહના અર્ધ કુળે ઇસ્રાએલના હજારોના મુખ્યોને ઉત્તર આપતાં કહ્યું કે,
22 દેવોનો દેવ યહોવાહ, દેવનો દેવ યહોવાહ, તે જાણે છે, ને ઇસ્રાએલ જાણશે કે, જો યહોવાહની વિરુદ્ધ ફિતૂરથી અથવા ઉલ્લંઘનથી, (આજે તું અમારો બચાવ કરીશ મા),
23 અમે યહોવાહના અનુસરણથી ફરી જવા સારૂ વેદી બાંધી હોય, કે તે પર દહનીયાર્પણ, કે ખાદ્યાર્પણ, કે શાંત્યર્પણના યજ્ઞો કરવા સારૂ [બાંધી હોય], તો યહોવાહ પોતેજ તેનો જવાબ લો;
24 કેમકે અમે વિચાર કરીને એ હેતુથી તે કીધું છે કે રખેને આવતા કાળમાં તમારા દીકરાઓ અમારા દીકરાઓને એમ કહે , કે ઇસ્રાએલના દેવ યહોવાહની સાથે તમારો શો લાગભાગ છે?
25 કેમકે હે રેઉબેનપુત્રો અને ગાદપુત્રો, તમારી અને અમારી વચ્ચે, યહોવાહે યરદનને સરહદ કીધેલી; અને રખેને તમને યહોવાહમાં કંઈ લાગભાગ નથી, એમ [કહીને] તમારા દીકરાઓ અમારા દીકરાઓને યહોવાહનું ભય રાખતાં અટકાવે.
26 એ માટે અમે કહ્યું કે, હવે આપણે પોતાને સારૂ વેદી બાંધવાની તૈયાર કરીએ; દહનીયાર્પણને સારૂ નહિ, કે યજ્ઞને સારૂ નહિ;
27 પણ અમારા ને તમારા મધ્યે, ને અમારી પાછળ આપણી પેઢીઓ મધ્યે એ સાક્ષીરૂપ થશે, કે અમને યહોવાહ આગળ અમારાં દહનીયાર્પણથી, ને અમારી યજ્ઞથી, ને અમારા શાંત્યર્પણથી તેની સેવા કરવાનો હક છે; એ માટે કે આવતા કાળમાં તમારા વંશજો અમારા વંશજોને એવું ન કહે કે, તમને યહોવામાં લાગભાગ નથી.
28 માટે અમે કહ્યું કે, તેઓ આવતા કાળમાં, અમને કે અમારી પેઢીને એમ કહેશે, ત્યારે એમ થશે કે, અમે એવું કહીશું, કે યહોવાહની વેદીનો નમુનો જુઓ; એ અમારા પિતૃઓએ કીધેલી છે, દહનીયાર્પણને સારૂ નહિ, ને યજ્ઞને સારૂ નહિ; પણ એ તો અમારા ને તમારા મધ્યે સાક્ષીરૂપ છે.
29 અમારા દેવ યહોવાહના મંડપની સામે જે તેની વેદી છે, તે શિવાય અમે દહનીયાર્પણને સારૂ ખાદ્યાર્પણને સારૂ, કે યજ્ઞને સારૂ, બીજી વેદી બાંધીને યહોવાહની વિરુદ્ધ ફિતૂર કરીએ, તથા યહોવાહના અનુસરણથી આજ ફરી જઈને, એવું કદી ન થાઓ.
30 અને રેઉબેનપુત્રોએ ને ગાદપુત્રોએ ને મનાશ્શેહપુત્રોએ જે વચન કહ્યા, તે ફીનહાસ યાજકે અને તેની સાથે જે જમાતના અધિપતિઓ એટલે ઇસ્રાએલના હજારોના મુખ્યો હતા તેઓએ સાંભળ્યા, ત્યારે તેઓને બહુ સારૂ લાગ્યું.
31 અને એલઆઝાર યાજકના દીકરા ફીનહાસે રેઉબેનપુત્રોને, ને ગાદપુત્રોને, ને મનાશ્શેહપુત્રોને કહ્યું, આજ અમે જાણીએ છીએ કે, યહોવાહ આપણી મધ્યે છે, કેમકે તમે યહોવાહ વિરુદ્ધ આ ઉલ્લંઘન કીધું નથી; હવે તો તમે ઇસ્રાએલપુત્રોને યહોવાહના હાથમાંથી છોડાવ્યા છે.
32 અને એલઆઝાર યાજકના પુત્ર ફીનહાસે ને તે અધિપતિઓએ રેઉબેનપુત્રો પાસેથી ને ગાદપુત્રો પાસેથી, ગિલઆદ પ્રાંતમાંથી, કનાન દેશમાં ઇસ્રાએલપુત્રો પાસે પાછા આવીને, તેઓને ખબર આપી.
33 અને તે ખબરથી ઇસ્રાએલપુત્રો ખુશી થયા; ને ઇસ્રાએલપુત્રોએ દેવની સ્તુતિ કીધી; ને જે દેશમાં રેઉબેનપુત્રો ને ગાદપુત્રો રહેતા હતા, તેનો નાશ કરવાને તેઓ વિરુદ્ધ ચઢાઈ કરવાની વાત ત્યાર પછી કદી કાઢી નહિ.
34 અને રેઉબેનપુત્રોએ ને ગાદપુત્રોએ તે વેદીનું નામ [એદ] પાડ્યું; કેમકે [તેઓએ કહ્યું] કે, તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે કે યહોવાહ એજ દેવ છે.