1 યહોશુઆના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલનાં લોકોએ યહોવાને પૂછ્યું કે, "કનાનીઓની સામે લડવાને અમારી તરફથી કોણ આગેવાની કરશે?"
2 યહોવાએ કહ્યું, "યહૂદા તમને દોરશે. જુઓ, મેં તેમના હાથમાં દેશ સોંપ્યો છે.
3 યહૂદાના પુરુષોએ પોતાના ભાઈ શિમયોનને કહ્યું, "ચાલો આપણે કનાનીઓની સામે લડીએ માટે મારી સાથે મારા વતનમાં આવ, તેથી હું પણ તારી સાથે તારા વતનમાં આવીશ." તેથી તે કુળમાનો શિમયોન તેઓની સાથે ગયો.
4 યહૂદાના પુરુષો ગયા અને યહોવાએ કનાનીઓ તથા પરિઝીઓની ઉપર વિજય અપાવ્યો. તેઓએ બેઝેકમાં તેઓમાંના દસ હજારનો સંહાર કર્યો.
5 તેઓને બેઝેકમાં અદોની-બેઝેક મળ્યો, તેઓ તેની સામે લડ્યા અને કનાનીઓનો તથા પરિઝીઓનો સંહાર કર્યો.
6 પણ અદોની-બેઝેક નાસી ગયો, તેઓએ તેની પાછળ પડીને તેને પકડી પડ્યો અને તેઓએ તેના હાથના તથા તેના પગના અંગૂઠા કાપી નાખ્યા.
7 અદોની-બેઝેકે કહ્યું, "સિત્તેર રાજાઓ, જેઓએ તેઓના હાથ તથા પગના અંગૂઠા કાપી નાખ્યા, તેઓ મારી મેજ નીચેથી પડેલા ટુકડા વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે, તેવો જ બદલો ઈશ્વરે મને આપ્યો છે." તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા અને તે ત્યાં મૃત્યુ પામ્યો.
8 યહૂદાના પુરુષોએ યરુશાલેમના શહેરની સામે લડાઈ કરીને તેને લઈ લીધું. તેઓએ તરવારની ધારથી હુમલો કરી, તે નગરને અગ્નિથી બાળી મૂક્યું.
9 ત્યાર પછી, યહૂદાના પુરુષો પહાડી પ્રદેશમાં, નેગેબમાં તથા પશ્ચિમી ટેકરીઓમાં રહેનારા કનાનીઓની વિરુદ્ધ લડાઈ કરવાને ગયા.
10 યહૂદા હેબ્રોનમાં રહેતા કનાનીઓની સામે ગયો (અગાઉ હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું), તેઓએ શેશાયનો, અહીમાનનો તથા તાલ્માઈનો સંહાર કર્યો.
11 ત્યાંથી યહૂદાના પુરુષો દબીરના રહેવાસીઓની સામે ગયા. (અગાઉ દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું).
12 કાલેબે કહ્યું, "જે કોઈ કીર્યાથ-સેફેરને મારીને તેને લઈ લેશે, તેને હું મારી દીકરી આસ્ખા, તેની પત્ની થવાને આપીશ."
13 કાલેબનો નાનો ભાઈ, કનાઝના દીકરા ઓથ્નીએલે દબીરને લઈ લીધું અને તેથી કાલેબે, પોતાની દીકરી આસ્ખાને, તેની પત્ની થવાને આપી.
14 જલ્દીથી આસ્ખા ઓથ્નીએલ પાસે આવી અને તેણે પોતાના પિતાની પાસે ખેતર માગવાને તેને પ્રેર્યો. જેવી તે પોતાના ગધેડા પરથી ઊતરી, કાલેબે તેને પૂછ્યું કે, "હું તારા માટે શું કરું?"
15 તેણે તેને કહ્યું, "મને આશીર્વાદ આપ. જો તેં મને નેગેબની ભૂમિ આપી છે તોપણ મને પાણીના ઝરા આપ." અને કાલેબે તેને ઊપરના તેમ જ નીચેના ઝરા આપ્યા.
16 મૂસાના સાળા કેનીના વંશજો, યહૂદાના લોકોને સાથે લઈને ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના અરણ્યમાં ગયા. (જે નેગેબમાં છે) અરાદ નજીક જઈને યહૂદાના લોકો સાથે રહ્યા.
17 અને યહૂદાના પુરુષો શિમયોનના ભાઈઓ સાથે ગયા અને સફાથમાં રહેતા કનાનીઓ પર હુમલો કર્યો અને તેનો પૂરો સંહાર કર્યો. તે નગરનું નામ હોર્મા કહેવાતું હતું.
18 યહૂદાના લોકોએ ગાઝા, આશ્કલોન તથા એક્રોનની સીમાઓ જીતી લીધી.
19 ઈશ્વર યહૂદાના લોકોની સાથે હતા અને તેઓએ પહાડી પ્રદેશોને હાંકી કાઢ્યા, પણ તેઓ નીચાણમાં રહેનારાઓને હાંકી કાઢી શક્યા નહિ કેમ કે તેઓની પાસે લોઢાનાં રથો હતા.
20 જેમ મૂસાએ તેઓને કરવા કહ્યું હતું તેમ હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું, તેણે અનાકના ત્રણ દીકરાઓને ત્યાંથી હાંકી કાઢ્યા.
21 પણ બિન્યામીનના લોકોએ યરુશાલેમવાસી યબૂસીઓને કાઢી મૂક્યા નહિ. જેથી યબૂસીઓ બિન્યામીનના લોકો સાથે આજ દિવસ સુધી યરુશાલેમમાં રહ્યા.
22 યૂસફના ઘરનાંઓએ બેથેલની સામે હુમલો કરવા તૈયારી કરી અને યહોવા તેઓની સાથે હતા.
23 તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. (અગાઉ તે નગરનું નામ લૂઝ હતું).
24 જાસૂસોએ એક માણસને તે નગરમાંથી આવતો જોયો અને તેઓએ તેને કહ્યું કે, "મહેરબાની કરીને, અમને નગરમાં જવાનો માર્ગ બતાવ અને અમે તારા પર કૃપા કરીશું."
25 તેણે તેઓને નગરમાં જવાનો માર્ગ બતાવ્યો. અને તેઓએ તરવારથી તે નગરનો નાશ, પણ તે માણસને તથા તેના આખા કુટુંબને જવા દીધા.
26 અને તે માણસ હિત્તીઓના દેશમાં ગયો અને નગર બાંધ્યું, ને તેનું નામ લૂઝ પાડ્યું. જે આજ લગી તેનું નામ તેજ છે.
27 મનાશ્શાના લોકોએ બેથ-શેઆન તથા તેના રહેવાસીઓને, તાઅનાખના તથા તેના રહેવાસીઓને, દોરના તથા તેના રહેવાસીઓને, યિબ્લlમના તથા તેના રહેવાસીઓને, મગિદ્દોના તથા તેના રહેવાસીઓને કાઢી મુક્યા નહિ; પણ કનાનીઓએ તે દેશમાં રહેવા ચાહ્યું
28 જયારે ઇઝરાયલીઓ બળવંત થયા, ત્યારે તેઓએ કનાનીઓ પર વેઠ નાખી, પણ તેઓએ તેમને છેક કાઢી મૂક્યા નહિ.
29 એફ્રાઈમે ગેઝેરવાસી કનાનીઓને કાઢી મુક્યા નહિ; પણ કનાનીઓ ગેઝેર માં તેઓની સાથે રહ્યા.
30 ઝબુલોને કિટ્રોનના રહેવાસીઓને, તથા નાહલોલના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ તેઓની સાથે રહ્યા, તેમને વેઠ કરાવી.
31 આશેરે આક્કોના રહેવાસીઓને, સિદોનના રહેવાસીઓને, અહલાબના, આખ્ઝીબના, હેલ્બાના, અફીક તથા રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ;
32 તેથી આશેરનું કુળ કનાનીઓની સાથે રહ્યું (જેઓ તે દેશમાં રહ્યા.) કેમ કે તેઓએ તેઓને કાઢી મૂક્યા નહિ.
33 નફતાલીએ બેથ-શેમેશના રહેવાસીઓને, બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મુક્યા નહિ; પણ નફ્તાલીનું કુળ કનાનીઓની સાથે રહ્યું.(લોકો જે તે દેશમાં રેહતા હતા.) તો પણ બેથ-શેમેશના તથા બેથ-અનાથના રહેવાસીઓ નફ્તાલીઓ માટે વેઠ કરનારા થયા.
34 અમોરીઓએ દાનના પુત્રોને પહાડી મુલકમાં જબરદસ્તીથી કાઢી મુક્યા; કેમકે તેઓએ તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહિ;
35 પણ અમોરીઓ હેરેસ પહાડમાં, આયલોનમાં અને શાલબીમમાં રહ્યાં. તો પણ યુસફના ઘરનાંઓનો હાથ પ્રબળ થયો, માટે તેઓ તેમને વેઠ કરાવી.
36 અમોરીઓની સરહદ આક્રાબ્બીમના ઘાટથી તથા ખડકથી ઉપર ગઈ.