2 અને યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, ઇસ્રાએલનો દેવ યહોવાહ એમ કહે છે કે, પૂર્વકાળે તમારા પૂર્વજ, એટલે ઇબ્રાહીમનો બાપ, ને નાહોરનો બાપ તેરાહ નદીની પેલી ગમ રહેતા હતા; અને તેઓ અન્ય દેવોની સેવા કરતા હતા.

3 અને મેં તમારા પિતૃ ઇબ્રાહીમને નદીની પેલી ગમથી આણ્યો, ને તેને તમામ કનાન દેશમાં ફેરવ્યો, ને તેનાં સંતાન વધાર્યો ને તેને ઇસ્હાક આપ્યો;

4 ને મેં ઇસ્હાકને યાકુબ તથા એસાવ આપ્યાં; ને વતનમાં એસાવને સેઇર પર્વત આપ્યો; અને યાકુબ અને તેના દીકરાઓ મિસરમાં ઉતરી ગયા.

5 અને મેં મુસાને તથા હારૂનને મોકલ્યા, ને મિસરની મધ્યે મેં જે કીધું તે પ્રમાણે તે પર અનર્થ આણ્યા; ને ત્યાર પછી હું તમને [ત્યાંથી] કાઢી લાવ્યો.

6 ને મેં તમારા પિતૃઓને મિસરમાંથી કાઢ આણ્યા; ને તમે સમુદ્ર સુધી આવ્યા; ને મિસરીઓ રથો તથા સવારો લઈને સૂફ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછળ લાગ્યા.

7 ને તેઓએ યહોવાહ પ્રત્યે પોકાર કીધો, ત્યારે તેણે તમારી તથા મિસરીઓની મધ્યે અંધકાર મુક્યો; ને સમુદ્રને તેઓ પર આણીને તેઓને ડુબાવી દીધા; ને મેં મિસરમાં જે કીધું તે તો તમારી આંખોએ જોયું; ને તમે અરણ્યમાં ઘણા દિવસ રહ્યા.

8 અને જે અમોરીઓ યરદનની પેલી ગમ રહેતા હતા, તેઓના દેશમાં મેં તમને આણ્યા; ને તેઓએ તમારી સાથે યુદ્ધ કીધું; ને મેં તેઓને તમારા હાથમાં આપ્યાં, ને તમે તેઓનો દેશ વતન કરી લીધો; અને મેં તમારી આગળથી તેઓનો નાશ કર્યો.

9 પછી મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે ઉઠીને ઇસ્રાએલ સાથે યુદ્ધ કીધું; ને તેણે બેઓરના દીકરા બલઆમને તમને શ્રાપ દેવા સારૂ બોલાવી મંગાવ્યો;

10 પણ બલઆમનું મેં સાંભળ્યું નહિ; માટે તેણે તમને આશીર્વાદજ આપ્યો; અને મેં તમને તેના હાથમાંથી છોડાવ્યા.

11 અને તમે યરદન ઉતરીને યેરેખો પાસે આવ્યા, ને યેરેખોના માણસો અમોરીઓ, ને પરીઝઝીઓ, ને કનાનીઓ, ને હિત્તિઓ, ને ગિર્ગાશીઓ, હિવ્વીઓ, ને યબૂસીઓ, એઓએ તમારી સાથે યુદ્ધ કીધું; અને મેં તેઓને તમારા હાથમાં આપ્યાં.

12 અને મેં તમારી આગળ ડાંસ મોકલ્યા, ને તેઓએ તેઓને, એટલે અમોરીઓના બે રાજાઓને, તમારી આગળથી હાંકી કાઢ્યા; તારી તરવારથી ને તારા ધનુષ્યથી [એ થયું] નહોતું.

13 અને જે દેશ વિષે તમે શ્રમ કીધો નહોતો, ને જે નગરો તમે બાંધ્યા નહોતાં, તે મેં તમને આપ્યાં, ને તમે તેમાં રહો છો; ને દ્રાક્ષવાડીઓ તથા જૈતવાડીઓ જે તમે રોપી નહોતી, તેઓના [ફળ] તમે ખાઓ છો.

14 તો હવે યહોવાહનું ભય રાખો, ને પ્રમાણિકપણાથી ને સત્યતાથી તેની સેવા કરો; ને નદીની પેલી ગમ, ને મિસરમાં, તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતાં હતા, તે દેવોને દૂર કરીને યહોવાહની સેવા કરો.

15 અને જો યહોવાહની સેવા કરવી, એ તમને માઠું દિસતું હોય તો આજજ પસંદ કરો કે કોની સેવા તમે કરશો; એટલે નદીની પેલી ગમ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતાં હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે રહો છો, તેઓના દેવોની; પણ હું ને મારા ઘરનાં તો યહોવાહની સેવા કરીશું.

16 અને લોકોએ ઉત્તર આપીને કહ્યું કે, દેવ એવું ન કરો કે યહોવાહને મુકીને બીજા દેવોની સેવા અમે કરીએ.

17 કેમકે જેણે અમને ને અમારા પિતૃઓને નિસાર દેશમાંથી, દાસપણાના ઘરમાંથી, કાઢી આણ્યા, ને જેણે અમારા દેખતાં તે મોટા ચમત્કાર કર્યો, ને અમે જે સર્વ રસ્તે ચાલ્યા તેમાં, ને જે સર્વ લોકો મધ્યે થઇને અમે ચાલ્યા તેઓ મધ્યે, અમારું રક્ષણ કીધું, તેજ યહોવાહ અમારો દેવ છે;

18 ને સર્વ લોકોને એટલે દેશમાં રહેનારા અમોરીઓને યહોવાહે અમારી આગળથી કાઢી મુક્યા છે; તે માટે અમે પણ યહોવાહની સેવા કરીશું; કેમકે તે અમારો દેવ છે.

19 અને યહોશુઆએ લોકોને કહ્યું, તમારાથી યહોવાહની સેવા કરાશે નહિ; કેમકે તે પવિત્ર દેવ છે; તે આસ્થાધારી દેવ છે; તે તમારાં ઉલ્લંઘનની ને તમારા પાપોની ક્ષમા નહિ કરશે.

20 જો તમે યહોવાહને છોડીને અન્ય દેવોની સેવા કરશો, તો તે, તમારૂં સારૂ કીધા પછી, ઉલટો થઈને તમારૂં માઠું કરશે, ને તમારો ક્ષય પણ કરશે.

21 અને લોકોએ યહોશુઆને કહ્યું, એમ તો નહિ, પણ અમે યહોવાહની સેવા કરીશું.

22 અને યહોશુઆએ લોકોને કહ્યું, તમે પોતાની સામે સાક્ષી છો, કે તમે યહોવાહની સેવા કરવાને તેને પોતાને સારૂ પસંદ કીધો છે. અને તેઓએ કહ્યું, અમે સાક્ષી છીએ.

23 [તેણે કહ્યું], તો હવે તમારે મધ્યે જે અન્ય દેવો છે, તેમને દૂર કરો, ને પોતાનું હૃદય ઇસ્રાએલનો દેવ યહોવાહની ગમ વાળો.

24 અને લોકોએ યહોશુઆને કહ્યું, આપણા દેવ યહોવાહની સેવા અમે કરીશું, ને તેની વાળી સાંભળીશું.

25 માટે તે દિવસે યહોશુઆએ લોકો સાથે કરાર કીધો, ને શેખેમમાં તેઓને વાસ્તે વિધિ ને નિયમ સ્થાપ્યા.

26 અને યહોશુઆએ આ વાતો દેવના નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખી, ને મોટો પત્થર લઈને ત્યાં યહોવાહના પવિત્રસ્થાનમાં જે આલોન વૃક્ષ છે તેની નીચે તે ઉભો કીધો.

27 અને યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, જુઓ, આ પત્થર આપણી વિરુદ્ધ સાક્ષી થશે; કેમકે યહોવાહે પોતાની જે વાતો આપણી આગળ કહી તે સર્વ એણે સાંભળી છે; તો એ તમારી વિરુદ્ધ સાક્ષી થશે, રખે તમે પોતાના દેવનો નકાર કરો.

28 પછી યહોશુઆએ લોકોને, એટલે પ્રત્યેક માણસને પોતપોતાના વતન ભણી રવાના કીધા.

29 અને એમ થયું કે, આ બિનાઓ બન્યા પછી, નૂનનો પુત્ર, યહોવાહનો સેવક યહોશુઆ, એકસો દસ વર્ષનો થઈને, મરણ પામ્યો.

30 અને તેઓએ તેના વતનની હદમાં એફ્રાઈમના પહાડી મુલકમાં, જે તિમ્નાથ-સેરાહ છે તેમાં, ગાઆશ ડુંગરની ઉત્તરમાં, તેને દાટ્યો.

31 અને યહોશુઆએ સર્વ દિવસોમાં, ને જે વડીલો યહોશુઆની પાછળ જીવતા રહ્યા, અને જેઓએ, યહોવાહે પોતાના જે સર્વ કામ ઇસ્રાએલ સારૂ કીધાં હતાં, તે જાણ્યા હતા, તેઓના સર્વ દિવસોમાં ઇસ્રાએલે યહોવાહની સેવા કીધી.

32 અને શેખેમમાં જે ભૂમિનો વિભાગ યાકૂબે શખેમના બાપ હમોરના દીકરા પાસેથી સો રૂપીએ વેચાતો લીધો હતો, ને જે યુસફના વતનનો થયો, તેમાં યુસફના હાડકાં, જે ઇસ્રાએલપુત્રોએ મિસરમાંથી આણ્યા હતા, તે દાટ્યાં.

33 આને હારૂનનો પુત્ર એલઆઝાર મરણ પામ્યો, ને તેના પુત્ર ફીનહાસની ટેકરી જે એફ્રાઈમના પહાડી મુલકમાં એને આપેલી હતી, તેના પર તેઓએ તેને દાટ્યો.